કલેકુટર હસ્તકના બંને તળાવ મ્યુનિ.ને સોંપાયાને દોઢ વર્ષ થયુ છતાં તંત્ર કબ્જો લઈ શકતુ નથી
તળાવને ફરતે દિવાલ બનાવી ન હોવાનો લાભ લઈને લોકોએ ગેરકાયદે બાંધકામ કરી દીધા
અમદાવાદ કલેકટર કચેરી દ્વારા નારોલ અને ઈસનપુર ખાતેના તળાવને મ્યુનિ.ને જાન્યુઆરી 2024 માં સોપવામાં આવ્યું હતું. જો કે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ દ્વારા હજુ સુધી બંને તળાવનો કબજો લેવાઈ શક્યો નથી. આ ઉપરાંત તળાવનો કબજો લેવા માટે કલેક્ટર કચેરી દ્વારા મે 2024 અને ફેબ્રુઆરી 2025 માં મ્યુનિ.ને બે પત્રો લખવામાં આવ્યા છે, તેમ છતાં મ્યુનિના અધિકારીઓ તળાવનો કબજો લેવામાં કોઈ ખાસ રસ દાખવતા નથી.
નારોલ તળાવનું ક્ષેત્રફળ 25 હજાર ચોરસ મીટર અને ઈસનપુર તળાવનું ક્ષેત્રફળ 15 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે. નારોલ તળાવમાં 301 રહેણાંક અને 26 કોમર્શિયલ પ્રકારના દબાણો થયેલ છે. જ્યારે ઇસનપુર તળાવમાં 184 કોમર્શિયલ અને 900 રહેણાંક પ્રકારના કાચા પાકા દબાણો થયેલા છે. એટલે બંને તળાવમાં મળીને કુલ 1400 થી વધુ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો હોવાના લીધે તળાવનો કબજો લેવાની કામગીરી ઘોંચમાં પડી છે.
કલેકટર કચેરીના સત્તાધીશો દ્વારા તળાવને ફરતે દિવાલ ન બનાવાના કારણે આસપાસના વિસ્તારોના લોકોએ કાચા પાકા દબાણ કરી જગ્યા પચાવી પાડી છે. મ્યુનિ.ના અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે મોટી સંખ્યામાં દબાણ હોવાના કારણે જગ્યાનો કબજો લેવામાં વિલંબ થઈ રહ્યો છે. ઈસનપુર તળાવના લોકોને જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપી દેવાઈ છે જ્યારે ટૂંક સમયમાં કોમર્શિયલ દબાણ કરનારા લોકોને નોટિસ ફટકારાશે. ઉપરાંત નારોલમાં કોમર્શિયલ અને રહેણાંક મકાનો બનાવનારા લોકોને પણ નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાંઆવશે. મ્યુનિના નિયમ મુજબ ચોમાસાની સિઝનમાં કોઈને પણ મકાન ખાલી કરવી શકાય નહી.
કલેકટર કચેરી હસ્તકના તળાવોનો વિકાસ કરવા આદેશ
મ્યુનિ દ્વારા ઈસનપુર અને નારોલના તળાવનો કબજો લેવામાં આવે તેના માટે મણિનગરના ધારાસભ્ય દ્વારા પણ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કામગીરી આગળ વધી શકતી નથી. બીજી તરફ કલેકટર કચેરી દ્વારા અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં જેટલા પણ કલેકટર કચેરી હસ્તકના તળાવ છે તેનો સર્વે શરૂ કરી તેની માપણી કરવામાં આવે. ત્યારબાદ તે તળાવોનો વિકાસ થઈ શકે એમ હોય તો સરકારમાં પત્ર લખવામાં આવે અને જો તે તળાવ નો વિકાસ મ્યુનિ.દ્વારા સારી રીતે કરી શકાય એમ હોય તો મ્યુનિ.ને તળાવો સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવે.