
6 પોલીસ સ્ટેશન વિસ્તારના 71 હિસ્ટ્રી શીટરોને પોલીસે બોલાવી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા કહ્યું
100 જેટલા વેપારીઓની મીટિંગ બોલાવી સાવચેતીના પગલાં લેવાની પોલીસે ભલામણ કરી
આગામી દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદમાં કાયદો અને વ્યવ્સથાની જાળવણી રહે તેના માટે શહેર પોલીસે કમર કસી છે. આ મામલે પોલીસે વેપારીઓને સાવચેતી રાખવા માટે મીટીંગનુ આયોજન કર્યું હતું. જ્યારે ગંભીર પ્રકારના ગુના આચરી ચુકેલા હિસ્ટ્રી શીટર્સની સાથે પણ એક મીટીંગ બોલાવી હતી. જેમાં તેમને આગામી દિવાળીમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિથી દુર રહેવાની સુચના આપી હતી, સાથોસાથ જો કોઈ ગુનો કરશે તો તેની સામે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.
દિવાળીના તહેવારો દરમિયાન આમ આદમીથી તવંગર સુધીના પરિવારો ખરીદી કરવા ઉમટી પડશે.આ સંજોગોમાં ગુનાહિત માનિસિકતા ધરાવતા તત્વો પણ ચોરી લુંટ ચેઈન સ્નેચીંગ જેવા ગુના આચરવા મેદાનમાં ઉતરશે. આ બાબતને ધ્યાને લેતા અમદાવાદ પૂર્વના જેસીપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ તકેદારીના પગલાંરૂપે મીટીંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં શનિવારે ઝોન-5 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન ઓઢવ રામોલ, નિકોલ, ખોખરા, બાપુનગર રખિયાલ વિસ્તારના જવેલરી એસોસીએશનના હોદેદારો તેમજ સોનાચાંદીના વેપારી અગ્રણીઓ સાથે ડીસીપી ઝોન-5 જીતેન્દ્ર અગ્રવાલ તેમજ એસીપી કુનાલ દેસાઈની અધ્યક્ષતામાં એક મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 100 જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા. આ તબકકે પોલીસ અધિકારીઓએ આગામી તહેવારોના સમયમાં તકેદારીના ભાગરૂપે શું શું કરવું જોઈએ તેમજ પોલીસ કમિશનર જી એસ મલિકના સીસીટીવીને લગતા વીઝનરી પ્રોજેકટ વિશે માહિતગાર કર્યા હતા. વેપારીઓને ચોરી લુંટ કે અન્ય ઘટનાઓને ધ્યાને લેતા મહત્તમ સીસીટીવી લગાવવાની અપીલ કરી હતી.
ઝોન ૫ વિસ્તારમાં અગાઉ લુંટ ધાડ, ચેઈન સ્નેચીંગ ચોરી જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા કુલ 71 જેટવા ઈસમને બાપુનગર પોલીસ સ્ટેશને એકત્ર કરાયા હતા. આ સંદર્ભે જયપાલસિંહ રાઠોડે ગુનાહિત પ્રવૃતિની ટેવ ધરાવતા હિસ્ટ્રી શીટરેને આગામી સમયમાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિથી દુર રહેવા ઉપરાંત તેમણે જો કોઈપણ વ્યકિત ગુનો કરશે તો કડક કાર્યવાહી કરવાની સુચના પણ આપી હતી.