બાપુનગરના દંપતિએ મકાન ખરીઘી લીધુ છતાં કબજે નહીં સોંપતા કરાયેલી કાર્યવાહી
કલેક્ટર આદેશને પગલે પોલીસે 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તપાસ આદરી
ઓઢવમાં એક દંપતિએ મકાન ખરીઘુ હોવા છતાં મકાનમાલિક અને તેમનો પરિવાર બહાના કરીને મકાનનો કબજો સોંપતા નહતા. આ અંગે ખરીદનારે કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબીંગની અરજી કરતા કલેકટરના આદેશને પગલે ઓઢવ પોલીસે એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં બાપુનગરમાં રહેતા વૈશાલીબેન ચિચોલીકરનુ મકાન નીચાણવાળા વિસ્તારમાં હોઈ ચોમાસામાં ખૂબ જ પાણી ભરાતુ હોઈ બીજે મકાન ખરીદવાની શોધમાં હતા. દરમિયાન તેમના કુટુંબી મારફતે તેમણે ઓઢવ વિરાટનગરમાં મારૂતિનગર સોસાયટીમાં આવેલું મકાન નંબર એ 22 મકાનમાલિક મુન્નીબેન રાજારામ ભારદ્રાજ તથા તેમના પતિ રાજારામ સાથે વાતચીત કરતા તેમનુ મકાન વેચવાનુ હોઈ પસંદ પડી જતા આ મકાન રૂ. 24 લાખમાં ગત તા 30 નવેમ્બર, 2023ના રોજ રજીસ્ટર દસ્તાવેજ કરીને ખરીદ્યું હતુ અને તેના રૂપિયા મુન્નીબેન તથા તેમના પતિને ચુકવી આપ્યા હતા.
જે તે સમયે મકાનમાલિક દંપતિએ મકાન ખાલી કરવા માટે અઠવાડીયાનો સમય માગ્યો હતો. ત્યારબાદ પોતાના ભાણીયાના લગ્ન હોવાનુ કહીને વધુ સમય લીધો હતો. આ સમયગાળા દરમિયાન મકાનનો કબજો મુન્નીબેન અને તેમના પતિએ તેમના બે દિકરી જયપ્રકાશ અને ઓમપ્રકાશને સોંપી દીધો હતો. આ તરફ સમયમર્યાદા વીતી જતા વૈશાલીબેને મકાનનો કબજો લેવા જતા તેમને જયપ્રકાશ અને ઓમપ્રકાશે મકાનમાં પ્રવેશતા અટકાવીને કહ્યુ હતુ કે આ મકાન અમારૂ છે. વૈશાલીબેને તેમને આ મકાન તેમણે ખરીદુ હોવાનુ કહેતા બંને ભાઈઓએ અમારી મંજૂરી વિના તમે કઈ રીતે મકાન વેચાણ લઈ શકો તેમ કહીને બોલાચાલી કરી હતી. જે તે સમયે વૈશાલીબેને પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બાજમાં તેમણે કોર્ટમાં દિવાની દાવો દાખલ કર્યો હતો જે કોર્ટે નામંજૂર કર્યો હતો.
આ દરમિયાન વૈશાલીબેને કલેકટર કચેરીમાં તેમના મકાનનો કબજો નહીં મળતા લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી જેમાં તપાસને અંતે કલેકટર દ્રારા લેન્ડ ગ્રેબીંગનો ગુનો બનતો હોઈ ગુનો દાખલ કરવા માટેની મંજૂરી મળતા આ મામલે ઓઢવ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ઓઢવ પોલીસે વૈશાલીબેનની ફરિયાદ લઈને મુન્નીબેન ભારદ્રાજ, તેમના પતિ રાજારામ અને બે પુત્રો ઓમપ્રકાશ અને જયપ્રકાશ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.