કંપનીના સોફ્ટવેરમાં ડબલ એન્ટ્રી જણાતાં તપાસ કુરતા ઠગાઈનો ભાંડો ફૂટ્યો
વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીના એકાઉન્ટન્ટે કંપનીના મેનેજમેન્ટ સોફટવેરમાં સુધારા વધારા કરીને તેના તેમજ તેના મળતીયાઓના અલગ અલગ બેંક એકાઉન્ટમા એપ્રિલ 2023 થી 31 મે 2025 સુધીના સમયગાળામાં કુલ રૂ. ૩ કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરીને કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી. આ અંગે કંપનીના ફાયનાન્સ હેડએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એકાઉટન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.
મણિનગરમાં રહેતા ભાવેશભાઈ પરમાર વટવા જીઆઈડીસીમાં આવેલી પ્રસાદ ગ્રુપ ઓફ કંપનીઝમાં ફાઈનાન્સ હેડ તરીકે ફરજ બજાવે છે. કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે રાકેશ શાહ કામ કરે છે જેમની કામગીરી કંપનીના જીએસટી રિર્ટન ફાઈલ કરવા. ટીડીએસ ફાઈલ કરવા તેમજ બેંકખાતાના તમામ પેમેન્ટ કરવાની કામગીરી તથા ડેટા ઈનપુટર તરીકેની છે. આ ઉપરાંત રાકેશ શાહને સોફટવેરમાં એન્ટ્રી, એડીટ, એડ એમેન્ડ ડિલિટ, વ્યુ તથા પ્રિન્ટ કરવાની પૅણ સત્તા આપવામાં આવી હતી.
ગત સાતમી જૂને કંપનીના ડાયરેકટર પ્રેમલભાઈને ઈઆરપી મેનેજમેન્ટ સોફટવેર મારફતે જાણવા મળ્યુ હતુ કે, કંપનીના સોફટવેરમાં અમુક વેન્ડરની ડબલ એન્ટ્રીઓ તથા તેમાં સુધારાવધારા થયા છે.
જેથી કંપનીના ઓથોરાઈઝ્ડ માણસોએ તપાસ કરતા કંપનીમાં ડબલ એન્ટ્રીઓ તથા સુધારા વધારાની પણ એન્ટ્રીઓ થઈ હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ અંગે રાકેશ શાહનો સંપર્ક કરતા તેઓ ફોન ઉપાડતા નહતા. તેમજ તેમના ઘરે કંપનીના માણસને મોકલી તપાસ કરાવતા બંને ઘરે તાળું મારેલું હતુ. આથી રાકેશ શાહે નાણાંની ઉચાપત કરી હોવાની શંકાના આધારે તપાસ કરતા બેક સ્ટેટમેન્ટ મંગાવતા કંપનીના એકાઉન્ટમાંથી રાકેશ શાહ તેમના પત્ની તથા અન્ય લોકોના મળી કુલ છ બેંક એકાઉન્ટમાં ગત ता 1 April 2023 31 मे 2025 સુધીમાં અલગ અલગ મળી કુલ રૂપિયા 3,03,27247ની ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલ્યુ હતુ.આ અંગે કંપનીના ફાઈનાન્સ હેડ ભાવેશભાઈ પરમારએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રાકેશ શાહ વિરુદ્ધ નાણાંકીય ઉચાપત કર્યાની ફરિયાદ નોધાવી છે.
કંપનીના સોફટવેરમાં અમુક વેન્ડરની ડબલ એન્ટ્રીઓ તથા તેમા સુધારાવધારા થયા હોવાનું ડાયરેકટરના ધ્યાને આવ્યું હતું.