દુર્ગંધથી લોકોને ઘરના બારીબારણાં બંધ કરવાની ફરજ પડી
વસ્ત્રાલના માઘવ ગાર્ડન પાસે થોડા મહિનાઓ પહેલા તૈયાર કરાયેલા આરસીસી આઈકોનિક રોડ પર ગટરો ઉભરાવવાની સમસ્યાને પગલે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સમસ્યાને પગલે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતાં ઘરોના બારી બારણા બંધ રાખવાની ફરજ પડી છે. આ ઉપરાંત ગાર્ડનના દરવાજા પાસે પણ ગંદા પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થતાં મુલાકાતીઓને ક્યારેક ગંદા પાણીમાંથી પસાર થવાનો પણ વારો આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.
આ અંગે સ્થાનિકે જણાવ્યું કે, છેલ્લાં કેટલાક દિવસૌથી આ નવા માર્ગ પર ગટરો ઉભરાવવાની સમસ્યા વકરી છે, જેને પગલે અતિશય દુર્ગંધ ફેલાતાં આ માર્ગથી પસાર થવામાં પણ હાલાકી પડી રહી છે. આ ઉપરાંત આ ગાર્ડનમાં આવતાં લોકોને પણ દુર્ગંધને પગલે મોઢે રૂમાલ બાંધીને ગાર્ડનમાં જવું પડી રહ્યુ છે.
આ સમસ્યા વધ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાની પણ ફરિયાદો કરી રહ્યા છે. ગંદા પાણી રસ્તા પર ભરાઈ રહેવાને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધવાનો પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. અતિશય દુર્ગંધને પગલે આસપાસ વસવાટ કરતાં લોકોને ઘરોના બારી બારણાં પણ બંધ રાખવાની ફરજ પડી છે. વહેલી સવારથી જ ગટરના ગંદા ઉભરાવવાની સમસ્યાને પગલે મોર્નિંગ વોક માટે નીકળતાં લોકોને દુર્ગંધ વચ્ચે પસાર થવાનો પણ વારો આવ્યો છે