દુકાનેથી લાવેલા ધંધાની રોકડ, ડાયમંડના દાગીના રોલેક્ષ ઘડિયાળ ગુમ
મણિનગરમાં રહેતા વેપારી પ્લાયવૂડની દુકાનેથી ધંધાના રોકડા રૂ. 1.64 લાખ બેગમાં લઈને ઘરે આવ્યા હતા.દરમિયાન રાતના સમયે તસ્કરોએ વેપારીના ઘરને નિશાન બનાવ્યુ હતુ અને ધંધાના રોકડ તથા સોનાચાંદીના દાગીના વગેરે મળી કુલ રૂ. 13 લાખ 96 હજારની મત્તાની ચોરી કરી હતી આ અંગે વેપારીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પરિવાર નિંદ્રાધીન હતો ત્યારે તસ્કરોએ ચોરી કરી, મણિનગર પોલીસે તપાસ આદરી
મણિનગરમાં વ્રજરાજ બંગ્લોઝમાં રહેતા દર્શિલભાઈ ઠકકર ગીતામંદિર લાટી બજારમાં પ્લાયવુડ તથા એમડીએફની દુકાન ધરાવીને વેપાર કરે છે. ગત તા 27 મીએ સાંજના સમયે દર્શિલભાઈ દુકાન બંધ કરીને દુકાનના હિસાબના રોકડા રૂ. 1,64,200 બેગમાં લઈને ઘરે આવ્યા હતા એ બેગ તેમની માતાના ડ્રેસીંગરૂમમાં બેઠક પર મુકી હતી.
ત્યારબાદ જમી પરવારીને વેપારી તેમના રૂમમાં સુવા માટે ગયા હતા. દરમિયાન શુક્રવારે સવારે જાગ્યા ત્યારે તેમની માતાએ કહ્યુ હતુ કે તેમના રૂમનો સામાન અસ્તવ્યસ્ત છે.
આથી તેમણે રૂમમાં જઈને તપાસ કરતા માતાને રાખવા માટે આપેલા રોકડા રૂપિયા ભરેલી બેગ, રોલેક્ષ કંપનીની કાંડા ઘડીયાળ, ડાયમંડની વીંટી, બ્રેસલેટ, આઈફોન અને અન્ય નાનામોટા દાગીના મળીને કુલ રૂ. 13,96,200 ની મત્તાની ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે દર્શિલભાઈએ મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.