કામ પૂર્ણ થયાને 20 દિવસ થયા છતાં રસ્તો ખુલ્લો કરાતો નથી
શહેરના હાથીજણના લાલગેબી સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના અંતર્ગત સર્વિસ રોડ બનાવાનું કામ પૂર્ણ થયાને 20 દિવસથી વધારે સમય થયો છતાં માટી ઢગલા હટાવાતા નથી. જેના લીધે સર્વિસ રોડ બંધ રાખવાના લીધે ફરી ફરીને જવાનો વારો આવતા લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરાંત સતત ઉડતી ધૂળના લીધે લોકોને આસપાસના વિસ્તારના 12 હજારથી વધારે ફલેટના રહીશો પરેશાન થઈ ગયા છે.
આ અંગે સ્થાનિક અગ્રણી અતુલ પટેલે જણાવ્યું હતું કે, રોડ બનાવાનું કામ પૂર્ણ થયાને 20 દિવસ જેટલો સમય થયો પરંતુ તેની આસપાસના રોડ પર મુકેલા માટીના ઢગલા હટાવાતા જ નથી. જો માટીના ઢગલા હટાવીને રસ્તો શરૂ કરવામાં આવે તો હજારો લોકોને રાહત મળી શકે તેમ છે. પરંતુ હાલમાં માટીના ઢગલાના લીધે રસ્તો બંધ હોવાના લીધે ધર્મલેખ ફલેટ, નારયણી હાઈટ્સ ફલેટ, આનંદ ફલેટ, રાધેશ્યામ હાઉસિંગ, બાલેશ્વર ફલેટ અને બાલેસ્વર સિટી. ધર્મવિલા બંગ્લોઝ, માતૃવાટિકા ફલેટ, અપૂર્વ ફલેટ સહિતની આસપાસની સોસાયટીઓના 12 હજારથી વધારે રહીશોને ફરી ફરીને જવાનો વારો આવતા હેરાનગતિ ભોગવવી પડે છે.