મ્યુનિ.ના વાંકે રોડ પર બ્લેકઆઉટ જેવો માહોલ જોવા મળે છે
શહેરના ગીતા મંદિર રોડ પર છેલ્લા એક સપ્તાહથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ છે. એટલે આ વિસ્તારમાં મ્યુનિ. ના વાંકે એક સપ્તાહથી બ્લેક આઉટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે તાકિદે સમારકામ કરવા રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી.
આ અંગે સ્થાનિક છગનલાલ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના હાર્દસમા ગીતામંદિર અને આસપાસના વિસ્તારમાં એક સપ્તાહથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ છે. જેના લીધે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયું છે. અવારનવાર આ વિસ્તારની સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જવાની ફરિયાદો ઊઠતી હોય છે. એટલે લોકો ફરિયાદો કરે ત્યારે થીંગડા મારવા જેવી કામગીરી કરીને જતાં રહે છે.
એટલે ફરીથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જાય છે. એટલે આ સ્ટ્રીટલાઈટો શરૂ કરવા મામલે અવારનવાર રજૂઆતો કરી છે. જો કે મ્યુનિ.ના ઓનલાઈન ફરિયાદ નંબર પર ફરિયાદો નોંધાવી છતાં કોઈ કામગીરી કરતા જ નથી. જેના લીધે વિસ્તારના રહીશોને હેરાન થવાનો વારો આવ્યો છે. જો કે નજીકમાં ગીતામંદિર એસટી ડેપો હોવાથી મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી આવતા મુસાફરો આ રોડથી અવરજવર કરતા હોય છે. એટલે મુસાફરો અને સ્થાનિકોના હીતમાં તાત્કાલિક સ્ટ્રીટલાઈટો શરૂ કરવામાં આવે તેવી લોકમાર્ગ ઊઠી છે.