વિવિધ આવાસો જર્જરિત બની ગયા હોવાની ફરિયાદો વચ્ચે ઓડિટ કરવાનું તંત્રનું આયોજન
સુરતની S.V.N.IT ને સ્ટ્રક્ચર ઓડિટનું કામ સોંપવાનું નક્કી કરાયું, ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે
શહેરમાં વિવિધ સરકારી આવાસો બનાવ્યાના ગણતરીના વર્ષોમાં જર્જરિત બની ગયા હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠી છે. ત્યારે મ્યુનિ. દ્વારા આ જાહેર આવાસોના સ્ટ્રક્ચરના ઓડિટ કરાવીને તેનુ ઓડિટ કરવાનું આયોજન કરાયું છે. જેમાં વટવા, દાણીલીમડા સહિત દક્ષિણ ઝોનમાં વિવિધ આવાસોના મળીને 121 બ્લોકના સ્ટ્રકચરનું ઓડિટ કરવા માટે રૂ.30 લાખ સુધીનો ખર્ચ કરવા માટે મ્યુનિ.એ નક્કી કર્યું છે.
આ અંગે મ્યુનિ.ના જણાવ્યા મુજબ, હાઉસીંગ પ્રોજેક્ટ અંતર્ગત મ્યુનિ દ્વારા દક્ષિણ ઝોનના મણિનગર, ઈસનપુર, લાંભા, વટવા સહિતના વિવિધ આવાસોના સ્ટ્રક્ચર ઓડિટનાકામ માટે સુરતની સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌધોગિક સંસ્થા (S.V.N.I.T)ની નિમણૂંક કરવાનું નક્કી કર્યું છે. જેમાં ઓડિટ કરતી એસવીએનઆઈટી સંસ્થાનેપ્રતિ બ્લોક દીઠ ગ્રાઉન્ડ ફલોર પ્લસ 1 ના રૂ.18 હજાર, ગ્રાઉન્ડ ફલોર પ્લસ 2ના રૂ.20 હજાર અને ગ્રાઉન્ડ ફલોર પ્લસ 3 ના રૂ.22 હજાર ઉપરાંત જીએસટી અલગથી અપાશે. આગામી દિવસોમાં મ્યુનિ.ની કમિટીઓમાં મંજૂરી બાદ આ કામને બોર્ડમાં રજૂ કરાશે. તેમાં મજૂરીની મ્હોર વાગશે તો ટુંક સમયમાં સ્ટ્રક્ચર ઓડિટની કામગીરી શરૂ કરી દેવાશે.
ઓડિટના રિપોર્ટના આધારે સમારકામ કરાશે
સ્ટ્રક્ચર ઓડિટમાં જે આવાસોના બ્લોક જર્જરિત કે ખામીયુકત હશે તેને રિપેરીંગ કરવા કે તેને તોડી પાડવા તેનો નિર્ણય લેવાશે. ફાઈનલ રિપોર્ટના આધારે જરૂર જણાશે તેવા આવાસોનાં સમારકામની કામગીરી પણ શરૂ કરી દેવાશે.