તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે
શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને અઢી મહિના થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં તેનું સમારકામ કરવાનું દુર યોગ્ય જવાબ આપવામાં પણ મ્યુનિ. નો સ્ટાફ આડોડાઈ કરી રહ્યો છે. જો કે થાંભલો પડી ગયો હોવાના લીધે રાહદારીઓને કરંટ લાગે તો દૂર્ઘટના સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, બાપુનગરના હાઉસિંગ બોર્ડના હરદાસનગરમાં છેલ્લા કેટલાક મહિનાથી અવારનવાર સ્ટ્રીટ લાઈટ બંધ થતાં રાતે અંધારપટ છવાઈ જતો હોવાની ફરિયાદો ઊઠે છે. જો કે અવારનવાર ફરિયાદો કરવા છતાં કોઈ કામગીરી કરાતી જ નથી. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ મામલે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરાતી નથી. જેના કારણે હાઉસિંગના વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. જેના કારણે રાતના સમયે ચોરી થવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. તેમજ સ્ટ્રીટલાઈટનો થાંભલો ફુટપાથ પર પડ્યો હોવાના લીધે ત્યાંથી લોકો અવરજવર કરતા હોય છે. ઉપરાંત બાળકો પણ રમતા હોવાના લીધે સ્ટ્રીટલાઈટના થાંભલાના વાયરોમાં કોઈ અડી જાય તો કરંટ લાગે તો દૂર્ઘટના થવાનો ભય રહેલો છે. એટલે લોકો બાળકોને થાંભલાની આસપાસથી પસાર પણ થવા દેતા નથી.