ભૂવા પડવાનો સિલસિલો ચાલુ છતાં ઉકેલ શોધવામાં તંત્રને રસ નથી
શહેરના ખોખરા વોર્ડમાં ન્યૂ અવની ફલેટ પાસે રોડ બનાવ્યાના થોડા જ દિવસોમાં ભૂવો પડતાં અવરજવર કરવામાં વાહનચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરાતી નથી. વગર ચોમાસે ભૂવા પડવાનો સિલસિલો ચાલી રહ્યો છે, ત્યારે વગર વરસાદે પડતાં ભૂવા પાછળના ખરા કારણો શોધીને તેનો ઉકેલવાની દિશામાં અને ભૂવાનું તાબડતોબ સમારકામ કરવાની દિશામાં કામ કરવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા વલણ દાખવી રહ્યું છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખોખરા વોર્ડમાં ન્યૂ અવની ફલેટથી સિકોતર માતાજીના મંદિરના ચાર રસ્તા તરફ જવાના રસ્તા પર ભૂવો પડયો છે. હજુ થોડા દિવસો અગાઉ જ ડામર નાંખીને આ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. તેના થોડા સમય જ ભૂવો પડતા રોડ બનાવાની કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવુ લાગી રહ્યું છે. જો કે આ ભૂવો ડ્રેનેજ લાઈનની ચેમ્બર પાસે જ પડયો છે. ત્યારે તેનું સમારકામ વહેલી તકે કરાશે નહીં તો આગામી દિવસોમાં ભૂવો મોટો થવાની પુરેપુરી શકયતા સેવાઈ રહી છે. ત્યારે તાકિદે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે તે જરૂરી છે.
નોંધનીય છે કે, લાંભામાં રોડ બનાવ્યાના બે દિવસ બાદ જ નવા રોડ પર ભૂવો પડ્યો હતો. જેના કારણે તંત્રે બેરીકેડ મુકીને સંતોષ માન્યો હતો. પરંતુ ભૂવાનું સમારકામ કરવાની દિશામાં ખાસ કોઈ તસ્દી લીધી ન હતી. હવે ખોખરામાં પણ રોડ બનાવ્યાના થોડા દિવસોમાં જ ભૂવો પડ્યો છે. પરંતુ હજુ સુધી મ્યુનિ.એ બેરિકેડ મુક્યું ન હોવાથી મોટો અકસ્માત સર્જાય તેવી શકયતા છે.